શ્રાવણ માસમાં ભાવિક લોકો ઉપવાસ કે એકટાણાં કરતા હોય છે. ભક્તિ અને આસ્થાપૂર્વક કેટલાક લોકો આખો મહિનો વ્રત તો કરે છે પરંતુ કેટલીક વખત પૂરતો ખોરાક નહીં લેવાના કારણે તેમને અશક્તિ અનુભવાય છે. વળી દરરોજ એકનું એક ફરાળી ભોજન ભાવે નહીં. તો કેટલાકને બટાકાનું ફરાળ પચતું નથી હોતું. એવામાં અમે બટાકા વિનાની કેટલીક ફરાળી વાનગીઓ લાવ્યા છીએ. જે ઉપવાસ કરનારની શારીરિક ક્ષમતા જાળવી રાખશે.
રાજગરાનો ચેવડો (ચાર વ્યક્તિ માટે)
૨૫૦ ગ્રામ રાજગરો,
૧૦૦ ગ્રામ સીંગદાણા,
૫૦ ગ્રામ તળેલા સાબુદાણા,
૧૫૦ ગ્રામ ખમણપત્રી,
તળવા માટે તેલ.
મીઠું ,મરી, લાલ મરચું,દળેલી ખાંડ, (પ્રમાણસર)
બનાવવાની રીત :
સૌ પ્રથમ રાજગરાના લોટમાં પ્રમાણસર મીઠું, મરી નાખી હલાવી લો . ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ સેવ પાડી શકાય તેવો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહી એવો માફકસર લોટ બાંધી લો. હવે સેવ પાડવાના સંચામાં તેને ભરી ઝીણી સેવ પાડી ઉકળતા તેલમાં તળી લો. હવે એક પ્લેટમાં સીંગદાણા તથા ખમણપત્રી તળીને અલગ રાખો. તળેલી રાજગરાની સેવ પર આ તળેલા સીંગના દાણા, પત્રી તથા તળેલા સાબુદાણા નાંખો. આ મિશ્રણમાં થોડું મીઠું, લાલ મરચું, તથા દળેલી ખાંડ ભભરાવો. (અહીં દળેલી ખાંડ વધારે નાંખવી.) આમ, આપનો રાજગરાનો ચેવડો તૈયાર થઈ ગયો છે જે આપ ઉપવાસ એકટાણામાં લઈ શકો છો.
રાજગરાનાં ભજિયાં (ચાર વ્યક્તિ માટે)
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,
૩ બટેટા,
૧ ટામેટું,
૫ લીલાં મરચાં,
થોડી કોથમરી,
મીઠું ,લાલ મરચું, મરી,
તળવા માટે તેલ.
બનાવવાની રીત :
સૌ પ્રથમ બટેટા ખમણીને ધોઈ એક પ્લેટમાં લઈ લો. તેમાં ટામેટાના ખૂબ જ ઝીણા કાપેલા ટુકડા , લીલાં મરચાં તથા કોથમરી સુધારીને નાંખો. હવે તેમાં રાજગરાનો લોટ ઉમેરો. પ્રમાણસર મીઠું, લાલ મરચું, મરી નાંખી આ મિશ્રણને તૈયાર કરો. (યાદ રાખો કે આ લોટ બાંધવા માટે પાણીનો ઉપયોગ ન કરવો. એમ કરવાથી તૈયાર કરેલું ખીરું ઢીલું પડી જશે અને ભજિયાં કરકરાં નહિ થાય.) હવે એ તૈયાર કરેલા ખીરામાંથી નાની નાની ભજી ઊકળતા તેલમાં તળી લો અને દહીં તથા લીલાં મરચાં સાથે ગરમ ગરમ પીરસો.
રાજગરાની પૂરી (ચાર વ્યક્તિ માટે)
૨૫૦ ગ્રામ રાજગરાનો લોટ,
મીઠું , મરી, જીરું
બનાવવાની રીત :
રાજગરાના લોટમા માફકસર મીઠું, મરી, તથા જીરું નાંખી ભેળવી લો. હવે હુંફાળા ગરમ પાણીથી લોટ બાંધો. પણ અહીં સામાન્ય પૂરી કરતાં સહેજ કઠણ લોટ બાંધવો. તેમજ લોટ બંધાય જાય એટલે તરત નાના નાના લુઆ તૈયાર કરી લોટ ઢાંકી દેવો. હવે થોડું અટામણ લઈ નાની નાની પૂરીઓ વણી ઊકળતા તેલમાં તળી લો. આ પૂરી તમે ચા સાથે નાસ્તામાં અથવા બટેટાની સૂકીભાજી સાથે જમવામાં લઈ શકો છો. આ ફરાળી વાનગીઓ ઉપવાસ એક્ટાણામાં ખૂબ જ ઉપયોગમા લેવામાં આવે છે.
No Response to “ફરાળી વાનગીઓ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment