આજ રોજ તા. ૧૯ ડિસેમ્બર, અમદાવાદ શહેરમાં થઈ ગયેલા નામાંકિત ઉદ્યોગપતિ શ્રી કસ્તુરભાઈ લાલભાઈનો જન્મદિન. ગરવી ગુજરાત ભૂમિના એ નરરત્ન હતા. તેમના આદર્શો અને કાર્યો કદી વિસરી શકાય તેમ નથી. તેમની જન્મજયંતી નિમિત્તે ચાલો તેમની સ્મૃતિ કરીએ.
જન્મઃ ડિસેમ્બર ૧૯, ૧૮૯૪ , અમદાવાદ ; અવસાનઃ જાન્યુઆરી ૨૦, ૧૯૮૦ અમદાવાદ
પરિવારઃ માતા – મોહિનાબા, પિતા – લાલભાઈ, પત્ની – શારદાબહેન, સંતાનો – સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ
…………………………………………………………………………………………………………………………………………………………..
લાલભાઈ શેઠે ૧૯૦૫માં અમદાવાદમાં “રાયપુર મિલ”ની સ્થાપના સાથે કાપડ-મિલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. ૧૯૧૨માં લાલભાઈ શેઠનું અવસાન થતાં તેમના વચેટ પુત્ર કસ્તુરભાઈએ કૉલેજનો અભ્યાસ અધૂરો છોડ્યો અને પિતાની મિલ સંભાળી.
૧૯૨૧માં કસ્તુરભાઈએ બીજી મિલ સ્થાપી : અશોક મિલ. (પોતાના મોટા ભાઈ ચીમનભાઈના પુત્ર અશોકભાઈના નામ પરથી) ત્યાર પછી કસ્તુરભાઈએ અરુણ , સરસપુર તથા નૂતન મિલ વિકસાવી. ૧૯૩૧-૩૨ માં નાનાભાઈ નરોત્તમભાઈના પુત્ર અરવિંદભાઈના નામ પરથી અરવિંદ મિલની સ્થાપના કરી.
આમ, ઉત્તરોત્તર પ્રગતિ કરી શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ સાત મિલો સુધી લાલભાઈ ગ્રુપને વિકસાવ્યું. કુનેહપૂર્વકના વહીવટ દ્વારા શેઠ કસ્તુરભાઈએ લાલભાઈ ગ્રુપનું નામ તો દેશભરમાં જાણીતું કર્યું જ, સાથે સાથે અમદાવાદના મિલ ઉદ્યોગની પ્રતિષ્ઠા વિશ્વસ્તર પર પહોંચાડી.
શેઠ કસ્તુરભાઈ સમયના સદુપયોગ સંબંધે હમેશાં સભાન રહેતા. તેમણે ભાગ્યે જ કોઈ મનોરંજન કે શોખની પ્રવૃત્તિ પાછળ સમય ખર્ચ્યો હશે! તેઓ રાજકારણથી પણ દૂર રહ્યા હતા, છતાં પોતાની ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અને તે દ્વારા અર્જિત સંપત્તિ દ્વારા સમાજના કલ્યાણ માટે તત્પર રહેતા.
શેઠ કસ્તુરભાઈએ ગુજરાતના સામાજિક-શૈક્ષણિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ગુજરાત યુનિવર્સિટી, આઈ. આઈ. એમ. અમદાવાદ (IIM-Ahmedabad), એન.આઈ.ડી, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી વગેરે સંસ્થાઓના વિકાસમાં શેઠ કસ્તુરભાઈનો અમૂલ્ય ફાળો છે.
હાલ તેમનાં સંતાનો પણ પૂર્વજોની પ્રતિષ્ઠાને અનુરૂપ અમદાવાદ તથા ગુજરાતને પ્રદાન કરતા રહ્યા છે.
ગુજરાતીલેક્સિકોન પરિવાર તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરે છે.
(માહિતી સ્રોતઃ https://gujarat3.wordpress.com , http://sureshbjani.wordpress.com)
No Response to “જન્મદિન વિશેષઃ૧૯ ડિસેમ્બર – શ્રી કસ્તુરભાઈ લાલભાઈ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment