તા. 10 ઑક્ટોબર 2015, શનિવારના રોજ ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટના પ્રાંગણમાં સાંજના 4.30 થી 7 દરમ્યાન ગુજરાતીલેક્સિકન અને ચંદરયા પરિવાર ગુજરાતીલેક્સિકનના સ્થાપક માતૃભાષાના ભેખધારી શ્રી રતિલાલ ચંદરયાની દ્વિતિય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિના સંદર્ભમાં ‘ગુજરાતની અસ્મિતા’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી સિતાંશુભાઈ અને અતિથિ વિશેષ શ્રી કુમારપાળભાઈ હતા. કાર્યક્રમની શરૂઆત અલ્પાહારથી કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમને અનુરૂપ ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિની અનુભૂતિ કરાવે તેમ અલ્પાહારમાં સેવખમણી, ખીચું, સમોસા, તવા હલવો અને ચા-કૉફી પીરસવામાં આવી હતી. આમંત્રિત સૌ મહેમાનો આ નવીન અલ્પાહારથી આનંદિત થઈ ગયા હતા.
ત્યારબાદ બરાબર 5.30 વાગે કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક શાબ્દિક અભિવાદન બાદ પૂજ્ય રવિશંકર મહારાજના શુભહસ્તે તા. 1લી મે 1960ના રોજ ગુજરાત રાજ્યની કામગીરીની શરૂઆત થઈ ત્યારે તે પ્રસંગને વધાવવા રચાયેલું અને ગાંધીબાપુની પુણ્યભૂમિ ગુજરાતના ગુણગાન ગાતી એક અદ્ભૂત રચના ‘યશગાથા ગુજરાતની’ ગીતના કેટલાક અંશો અત્રે જિતેન્દ્ર વ્યાસ અને તેમના સાથી કલાકરો દ્વારા રજૂ કરવામાં આવેલ.
ત્યારબાદ ગુજરાતીલેક્સિકન પ્રવૃત્તિ અને આગામી પ્રકલ્પો વિશે માહિતી આપતું એક ઑડિયો વિડિયો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવેલ જેની અંદર રતિકાકાના ભાઈ કેશવકાકા અને મનુકાકાએ મોકલાવેલ સંદેશા ઉપરાંત તેમના મિત્રો ઉત્તમ ગજ્જર અને વિપુલ કલ્યાણીના સંદેશાઓ ઉપરાંત ભગવદ્ગોમંડલ, ગ્લોબલ, સ્વાહિલી, મોબાઇલ ઍપ્લિકેશન, ડોનેટ ઈબુક વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રેઝન્ટેશન અમે અપલોડ કરી પછી તેની લિંક મોકલવી આપીશું.
ત્યારબાદ દિપ પ્રાગટ્ય કરીને મંચસ્થ મહાનુભાવો શ્રી કુમારપાળ દેસાઈ, શ્રી સિતાંશુભાઈ, શ્રી પ્રકાશભાઈ, શ્રી મુકેશભાઈ અને શ્રી વિમલભાઈએ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું હતું.
વિમલભાઈ અને મુકેશભાઈએ મંચસ્થ મહાનુભાવોનું અભિવાદન કર્યું
ત્યારબાદ કુમારપાળભાઈએ પોતાનું પ્રાસંગિક વ્યકત્વ્ય રજૂ કરેલ હતું જેમાં તેમણે રતિકાકા સાથેના તેમના સંસ્મરણો ઉપરાંત રતિકાકાના સ્વભાવ, ઉદ્દેશો, કામ પ્રત્યેની ધગશ વગેરે જેવા પાસાં રજૂ કર્યા.
કુમારપાળભાઈના વ્યક્તવ્ય બાદ શ્રી સિતાંશુભાઈએ ગુજરાતની અસ્મિતા વિશે શ્રોતાગણને માહિતી આપી. જેમાં તેમણે અસ્મિતા શબ્દનો ઉદ્ભવ, ઉદ્ભવકાર, વિરોધ વગેરે જેવી અજાણ બાબતોથી લોકોને પરિચય કરાવ્યો અને સાથે મળીને સૌએ ભાષા, કલા, સાહિત્ય અને સંસ્કૃતિ સંદર્ભે માત્ર વાતો કરવાને બદલે નક્કર કામ કરવાની અપીલ કરી.
ત્યારબાદ મુકેશભાઈએ ગુજરાતી કલ્ચર એન્ડ હેરિટેજ ફાઉન્ડેશન વિશે તેના ઉદ્દેશો વિશે લોકોને માહિતગાર કર્યા.
ટ્રસ્ટની જાહેરાત બાદ પ્રકાશભાઈ વિપુલ કલ્યાણી વિશે, ઓપિનિયન મેગેઝિન વિશે અને તેની ડિજિટલ આવૃત્તિની રજૂઆતના સંદર્ભની માહિતી આપી અને મંચસ્થ મહાનુભાવો દ્વારા ઓપિનિયન ડીવીડીનું લોકાર્પણ કરવામાં આવ્યું,
ઓપિનિયન ડીવીડીના લોકાર્પણ બાદ મનુકાકા અને ચંદરયા ફાઉન્ડેશન દ્વારા આ વર્ષથી મુખ્ય વિષય ગુજરાતી સાથે એમ.એ અથવા પીએચડી કરતાં તેજસ્વી અને જરૂરિયાતવાળા વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરવામાં આવેલ છે તેની જાહેરાત કરવામાં આવી અને આ વર્ષ માટે ગુજરાત યુનિવર્સિટી, એમ.એસ.યુનિવર્સિટી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પસંદ કરાયેલ કુલ આઠ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. આ ઉપરાંત આ સમગ્ર પ્રક્રિયામાં મદદરૂપ થનાર યોગેન્દ્રભાઈ વ્યાસ અને અરવિંદ ભંડારીનો આભાર માનવામાં આવ્યો. એમ.એ. કરતાં વિદ્યાર્થીઓને 7000 રૂપિયાની અને પી.એચ.ડીના વિદ્યાર્થીઓને 15000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવી. આ ઉપરાંત આ શિષ્યવૃત્તિમાં ફાળો આપવાની શ્રોતાગણમાં અપીલ કરવામાં આવી.
ત્યારબાદ વરમોરા પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીના ચેરમેન પ્રકાશ વરમોરાએ ગુજરાતી ભાષા સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા અને જાણીતા બ્લોગર અને લેખક બિનીત મોદીએ રતિકાકાને શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી
આ શ્રદ્ધાંજલિ બાદ મંચસ્થ મહાનુભાવો, ઉપસ્થિત શ્રોતાગણ, વિશ્વકોશ પરિવાર, રાએધૂન ટીમ, આ સમગ્ર આયોજનમાં સહાયભૂત થનાર સૌનો આભાર વ્યકત કરી સભાનું સમાપન કરવામાં આવ્યું.
No Response to “રતિલાલ ચંદરયા દ્વિતિય સ્મૃતિ સભા – અહેવાલ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment