મિત્રો, આજે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવપોઢી એકાદશી છે. આજથી ચાતુર્માસનો પ્રારંભ થઈ જાય છે. હિંદુ બાળકીઓના ગૌરીવ્રતની શરૂઆત પણ આજથી શરૂ થઈ જાય છે. હવે ચારેક માસ સુધી લગ્ન સહિતનાં માંગલિક કાર્યો બંધ રહેશે, આ ચાર માસ દરમિયાન પ્રભુભક્તિ, વ્રત-તપ-જપ-મંત્ર વગેરે દ્વારા ભગવાનને રીઝવવાના ભક્તિભર્યા માંગલિક કાર્યો થશે. આ સમયગાળામાં તહેવારોની સિઝન શરૂ થઈ જશે. જેમાં ઉત્સવ અને ધર્મપ્રિય જનતા વિવિધ તહેવારો – ઉત્સવોનો લાભ લેશે. ચાલો, તેના વિશે થોડી અલપ-ઝલપ માહિતી મેળવીએ .
અષાઢ સુદ એકાદશીથી ભગવાન વિષ્ણુ પોઢે છે, આથી તેને દેવપોઢી એકાદશી કહેવામાં આવી છે. ભાદરવા સુદ એકાદશીએ પડખુ ફેરવે છે, આથી તેને પાવર્તીની એકાદશી કહેવાય છે અને કારતક સુદ એકાદશીએ જાગે છે આથી તેને દેવઊઠી એકાદશી તરીકે ઓળખાવાય છે. અષાઢ સુદ એકાદશીથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે. આજ દિવસથી ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આથી ચાર મહિના દરમિયાન ધર્મકાર્યો શુભકાર્યોનો વિશેષ મહિમા રહેલો છે. સોમવારના રોજથી પ્રારંભ થતા ગૌરીવ્રતને કારણે રવિવારના રોજ બજારોમાં મોટી સંખ્યામાં ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. શહેરીજનોએ ડ્રાયફ્રૂટ, ફળફળાદિ પૂજાપાના સામાન સહિત નવાં કપડાં અને અન્ય વસ્તુઓની વરસતા વરસાદમાં ખરીદી કરી હતી.
ગૌરીવ્રતનો પ્રારંભ સોમવારના રોજ હજારોની સંખ્યામાં બાળકીઓ કરશે. શુક્રવારના રોજ વ્રતની પૂર્ણાહુતિ થશે. બુધવારના રોજથી જયા-પાર્વતી વ્રતનો પ્રારંભ થશે. ગૌરીવ્રતના પાંચ વર્ષ પૂર્ણ થઈ ગયા બાદની બાળકીઓ દ્વારા જયા-પાર્વતી વ્રત કરે છે. જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ રવિવારના રોજ થશે. રવિવારે જયા પાર્વતી વ્રત કરનારી કુંવારિકાઓ જાગરણ કરશે. દરેક વ્રતમાં જાગરણનું મહત્ત્વ રહેલું છે. શહેરમાં કોર્પોરેશન દ્વારા જાગરણના દિવસે શહેરમાં ઘણી જગ્યાઓ જેવી કે, કાંકરિયા લેક ફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, વસ્ત્રાપુ રતળાવ, મલાવ તળાવ સહિતની જગ્યાઓએ ડી.જે., લાઇટિંગ અને પીવાના પાણીની સુવિધા કરે છે.
હિંદુ ધર્મ, સ્વામિનારાયણ સંપ્રદાય તથા જૈન ધર્મમાં ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ રહેલું છે. મહિનાઓ દરમિયાન એક ટાણું ઉપવાસ કરવાનું સાથોસાથ ધર્મ કાર્યો કરવાનો મહિમા શાસ્ત્રોમાં વર્ણવામાં આવેલો છે.
ચાતુર્માસના પ્રારંભે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલાં હિંદુ મંદિરો તથા સ્વામિનારાયણ મંદિરો ખાતે ભગવાનને હાર, પુષ્પાદિક સામગ્રી અર્પણ કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ ભગવાનનો વિશિષ્ટ શણગાર અને પારાયણ યોજાશે.
ચાતુર્માસ વિશે અન્ય માહિતી વાંચો : http://sanjaypithadia.blogspot.in
લેખ સંદર્ભ – સૌજન્ય : http://www.divyabhaskar.co.in/
No Response to “દેવપોઢી એકાદશી : ચાતુર્માસ તથા ગૌરીવ્રતનો પ્રારંભ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment