ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈના પુત્ર તથા જાણીતા ગાંધી કથાકાર નારાયણ દેસાઈનું રવિવારે વહેલી સવારે નિધન થયું હતું. તેઓ ૯૧ વર્ષના હતા. દક્ષિણ ગુજરાતના વેડછીમાં આવેલા સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
નારાયણ દેસાઈ છેલ્લા ચારેક મહિનાથી બીમાર હતા. ગત ૯મી ડિસેમ્બર, ૨૦૧૪ના દિવસે તેમની તબિયત અચાનક નાજુક થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. તેઓ કોમામાં સરી જતાં તેમને દોઢેક મહિના સુધી આઈસીયુમાં રખાયા હતા. જે પછી તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો, પણ તેઓ સંપૂર્ણ સ્વસ્થતા મેળવી શક્યા ન હતા અને રવિવાર તા. ૧૫/૦૩/૨૦૧૫ના રોજ વહેલી સવારે વેડછી ગાંધી વિદ્યાપીઠ ખાતે પરોઢે ૪.૩૦ કલાકે અવસાન થયું હતું.
નારાયણ દેસાઈએ ૭૫થી વર્ષથી વધુ સમયના સામાજિક જીવન દરમ્યાન મહાત્મા ગાંધી, લોકનાયક જયપ્રકાશ નારાયણ અને વિનોબા ભાવે સાથે કાર્ય કર્યું હતું, તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભૂદાન આંદોલન, સંપૂર્ણ ક્રાંતિ આંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બિહાર આંદોલનમાં તેમણે સક્રિયતાના કારણે તે સમયની રાજ્ય સરકારે તેમણે બિહાર રાજ્યમાંથી બહાર મોકલી દીધા હતા. વર્ષ 2002માં ગાંધીના વિચારો માટે ગાંધી કથા શરૂ કરી દીધી હતી. એમને કેન્દ્રિય સાહિત્ય અકાદમી પુરસ્કાર, મૂર્તિદેવી પુરસ્કાર ઉપરાંત બાંગ્લાદેશ સરકારે સર્વોચ્ચ નાગરિક સન્માનનો ઍવોર્ડ પણ એનાયત કર્યો હતો.
નારાયણભાઈ દેસાઈ ચરિત્રકાર, અનુવાદક અને સર્વોદય કાર્યકર હતા. તેમનું બાળપણ ગાંધીજીના સાંનિધ્યમાં વીત્યું હતું. નારાયણભાઈ દેસાઈએ જીવનના મોટા ભાગનાં વર્ષો ખાદી, નઈતાલીમ, ભૂદાન, ગ્રામદાન, શાંતિસેના અને અહિંસક આંદોલનમાં ગાળ્યાં છે. તેમણે જયપ્રકાશ નારાયણ અને વિનોબાનાં પુસ્તકોના અનુવાદો પણ કર્યા છે. તેમણે ગાંધીચરિત્ર પણ લખ્યું છે. તેમણે નાનપણમાં ગાંધીજીને બહુ નજીકથી જોયા છે. નારાયણભાઈ દેસાઈએ ૧૨૦ જેટલી કથાઓ દેશ-વિદેશોમાં કરી છે. આ ઉપરાંત માતૃભાષા ગુજરાતીની બહુમૂલ્ય સેવાઓ તેમના થકી થઈ છે. માતૃભાષા ગુજરાતી અનંતકાળ સુધી અજર-અમર રહે તથા તેની ભવ્ય સંસ્કૃતિનો વારસો ઉત્તરોઉત્તર જળવાતો-સચવાતો અને વિસ્તરતો રહે તે માટેના તેમના પ્રયાસો રહ્યા હતા.
નારાયણભાઈ દેસાઈના પરિવારમાં તેમની પત્ની સ્વ. ઉત્તરાબેન દેસાઈ તથા તેમની મોટી પુત્રી ડૉ. સંઘમિત્રા દેસાઈ, પુત્ર નચિકેતા દેસાઈ અને અફલાતૂન દેસાઈ છે. નારાયણભાઈ દેસાઈનો જન્મ ૨૪/૧૨/૧૯૨૪ના રોજ વલસાડ ખાતે થયો હતો. તેઓ જાણીતા સર્વોદયકાર અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય વેડછીના સંચાલક તરીકે સેવા કરતા હતા. અને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદનાં કુલપતિ તરીકે પણ સેવા આપી હતી.
તેમની રાષ્ટ્રસેવાઓ, સમાજસેવાઓ, સાહિત્ય તથા ભાષાસેવાઓનું બહુમાન તથા ગૌરવ કરતાં ગુજરાતીલેક્સિકન પરિવાર તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પે છે.
લેખ સૌજન્યઃ
http://www.divyabhaskar.co.in, & http://navgujaratsamay.indiatimes.com
No Response to “શ્રદ્ધાંજલિ – જાણીતા ગાંધી કથાકાર નારાયણ દેસાઈ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment