ગત વર્ષ જાન્યુઆરી ૨૦૧૪ની જેમ આ વર્ષે ફરીથી ગુજરાત લિટરેચર ફેસ્ટિવલને માણવાનો અવસર સાંપડ્યો . ગુજરાતી સાહિત્યને નવા સ્વરૂપે જાણવાના અને નવી પેઢીમાં જાણીતી કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 30 અને 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરીએ આ ફેસ્ટિવલ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી સામે આવેલા કનોરિયા સેન્ટર ફોર આર્ટ્સ ખાતે યોજાયો.
આ વર્ષે ફેસ્ટિવલમાં કુલ મળીને 40થી વધુ સેશન્સ થયાં. આશરે 125થી વધુ લેખકો તથા સાહિત્ય આધારિત કળાના માંધાતાઓ હાજર રહ્યા. જાણીતા ગુજરાતી લેખકો, નાટ્યકારો, કવિઓ અને નવલકથાકારો, જેમ કે વિનોદ ભટ્ટ, સૌમ્ય જોષી, ગુણવંત શાહ, મધુ રાય, પ્રીતિ સેનગુપ્તા, કાજલ ઓઝા વૈધ, ડો. શરદ ઠાકર, ડો. રઈસ મણિયાર, જય વસાવડા, ઉર્વિશ કોઠારી, વિવેક દેસાઈ, ફિલ્મકાર આનંદ ગાંધી વગેરેએ હાજરી આપી હતી.
જીએલએફનાં વિવિધ સેશન્સમાં ‘સાહિત્ય હાજિર હો…’, ‘સાહિત્યની બબાલો દ્વિતીયઃ એવોર્ડ્સનું પોલિટિક્સ’, ‘જો બકા… વોટ્સ એપ પર પણ સાહિત્ય થાય છે’, ‘Wanted: નવલકથામાં નોવેલ્ટી’, ‘સાહિત્યનો Sensex કોણ ચલાવે?’ જેવા વિષયોની ચર્ચા થઈ. ઉપરાંત જીએલએફમાં જિજ્ઞા અને સૌમ્ય જોષી દ્વારા તૈયાર કરવામાં આવેલાં ‘રંગારાઃ Dramatic readings from literature of different languages’નું સ્પેશિયલ પ્રીમિયર તથા કેટલાક નવોદિત લેખકોનાં પુસ્તકોનું વિમોચન, ડોક્યુમેન્ટરી મેકર્સે બનાવેલી શોર્ટ ફિલ્મનું સ્ક્રીનિંગ પણ થયું. ઉપરાંત મધુ રાય દ્વારા નાટ્યલેખન અને ટૂંકી વાર્તા કેવી રીતે લખાય તે વિશેનો વર્કશોપ પણ યોજવામાં આવ્યું હતું. તાજેતરમાં જ રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ ‘બે યાર’ના ડિરેક્ટર અભિષેક જૈન મેકિંગ ઓફ ‘બે યાર’ વિશે ફિલ્મ ક્રિટિક શિશિર રામાવત સાથે સંવાદ યોજાયો.
ખ્યાતનામ સર્જકો જેવાં કે, મધુ રાય, કાજલ ઓઝા વૈદ્ય અને જય વસાવડા દ્વારા નવોદિત સર્જકો માટે ટુંકી વાર્તા, સ્ક્રિનપ્લે, અને ફિલ્મ જોવાની કળા જેવાં વિષયો પર વર્કશોપ યોજાયા. જીએલએફમાં ‘માતૃભાષા અભિયાન’ દ્વારા થઈ રહેલી પુસ્તક પરબની પ્રવૃત્તિ માટે પુસ્તકો એકત્રિત કરવાનું એક ખાસ કાઉન્ટર પણ ઊભું કરવામાં આવ્યું હતું, જ્યાં વંચાઈ ગયેલાં પુસ્તકોને અન્ય કોઈનાં વાંચન માટે ભેટસ્વરૂપે જમા કરાવાયાં હતાં.
ગુજરાતી ભાષાના ડિજિટલ શબ્દકોશ તરીકે વિશ્વભરમાં ખ્યાતી પામેલ ગુજરાતીલેક્સિકનની ત્રણેય દિવસો દરમિયાન ઉપસ્થિતિ રહી હતી. ખાસ ગુજરાતી ભાષા સંબંધિત પોતાની વિશેષ પ્રસ્તુતિઓથી ગુજરાતી ભાષાપ્રેમીઓને માહિતગાર કર્યા હતા. ગુજરાતીલેક્સિકનની વિવિધ એપ્સિકેશન્સના ઉપયોગ થકી ગુજરાતી ભાષાના પ્રચાર – પ્રસારમાં તેમના સહયોગ માટે અનુરોધ કર્યો હતો.
ગુજરાતી સાહિત્યનો વિવિધ મોબાઈલ એપ્લિકેશન્સ દ્વારા પ્રચાર – પ્રસાર કરનાર ગુજરાતી પ્રાઈડે પણ અત્રે પોતાની રજૂઆતોને લોકો સમક્ષ પ્રસારિત કરી હતી.
આ ફેસ્ટિવલ અંગેની વિસ્તૃત માહિતી આપ અાપેલ લિંકને અનુસરીને મેળવી શકશો –
No Response to “ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ – ૨૦૧૫” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment