૧૯ સપ્ટેમ્બર એ ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી હરિન્દ્ર દવેનો જન્મદિન છે. રાધા – કૃષ્ણનાં ભાવસભર ગીતો એ તેમની વિશેષતા છે. ‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં’, ‘માધવ ક્યાંય નથી મધુવનમાં’ વગેરે બહુ જ પ્રસિદ્ધ અને માનવ સંવેદનાને ઉજાગર કરતી રચનાઓ છે. આજે તેઓ ભલે સદેહે હયાત નથી પણ તેમનાં ફોરમતાં પુષ્પોસમાં કાવ્યો સાંભળતાં તેમની સમૃતિ તાજી થઈ આવે છે.
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.
ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં.
જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,
જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ હો રામ,
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.
કોઈ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે કાનુડાના મુખમાં વ્રેમાંડ દીઠું રામ,
કોઈ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.
કોઈ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં,
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,
એક પગલું ઊપડ્યું ને તમે યાદ આવ્યાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કાલિંદીના જળ પર ઝૂકી પૂછે કદંબ ડાળી,
“યાદ તને, બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી?”
લહર વમળને કહે, વમળ એ વાત સ્મરે સ્પંદનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
કોઈ ન માગે દાણ, કોઈની આણ ન વાટે ફરતી,
હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી?
નંદ કહે જશુમતીને, માતા વ્હાલ ઝરે લોચનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
શિર પર ગોરસ મટુકી મારી વાટ ન કેમે ખૂટી,
અબ લગ કંકર એક ન વાગ્યો ગયાં ભાગ્ય મુજ ફૂટી!
કાજળ કહે આંખોને, આંખો વાત વહે અંસુવનમાં,
માધવ ક્યાંય નથી મધુવનમાં…
No Response to “જન્મદિન વિશેષ – હરિન્દ્ર દવે” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment