મિત્રો,
ગુજરાતી સહિત્યપ્રેમીઓ રીડગુજરાતી.કોમ ગુજરાતી બ્લૉગથી ખૂબ સારી રીતે પરિચિત હશે. રીડગુજરાતી.કોમ એટલે વૈવિધ્યપૂર્ણ વાંચનનો રસથાળ. આ એક ઑનલાઇન ગુજરાતી સામયિકનો બ્લૉગ છે. જે અંતર્ગત ટુંકીવાર્તા, કાવ્યો-ગઝલો, હસો અને હસાવો, બાળસાહિત્ય, આધ્યાત્મિક લેખો, સાહિત્ય લેખો વગેરે ગુજરાતી સાહિત્યને ખૂબ સુંદર રીતે પીરસવામાં આવે છે અને દરરોજ અનેક ગુજરાતી સાહિત્યપ્રેમીઓ તેની મુલાકાત લે છે. આ બ્લૉગ ગુજરાતી સાહિત્ય જગતમાં ખૂબ નોંઘપાત્ર સ્થાન ધરાવે છે. આ બ્લૉગના કર્તા માતૃભાષાપ્રેમી – ગુજરાતી સાહિત્યપ્રેમી શ્રી મૃગેશભાઈ શાહ ખૂબ જ સૌજન્યસભર વ્યક્તિત્વ ધરાવતા હતા અને પોતાના બ્લૉગ દ્વારા માતૃભાષા ગુજરાતી ખૂબ સારી સેવાઓ બજાવતા હતા.
આપણા સૌની જાણ મુજબ મૃગેશભાઈ શાહને તા. ૧૯ મે ના રોજ રાત્રે બ્રેઇન હેમરેજ થયું હોઈ તાત્કાલિક હોસ્પિટલાઇઝ કરવા પડ્યા હતા. તા. ૨૦ મે ના રોજ વડોદરાની મેટ્રો હોસ્પિટલમાં ન્યૂરોસર્જન દ્વારા કરાયેલા તેમના ઓપરેશન બાદ તેમની તબિયત સુધારા પર જણાઈ રહી હતી, જો કે તેઓ ત્યારબાદ આઈ.સી.યુ.માં ઓબ્ઝર્વેશનમાં જ હતા. દિવસે દિવસે તેમની તબિયત કથળતી જતી હતી અને અત્યંત આઘાત અને દુઃખની લાગણી થાય સાથે અમે આપને જણાવીએ છે કે આજે બપોરે ૧૨.૧૫ કલાકે મૃગેશભાઈ શાહ અવસાન પામ્યા છે. “ખૂબ નાની ઉમરે અકાળ અને અકળ મૃત્યુ” માની ન શકાય તેવા સમાચાર છે. મૃત્યુ માનવીય શક્તિ અને ક્ષમતાની બહારની સત્ય હકીકત છે પરંતુ મૃગેશભાઈ જેવા કાર્યશીલ અને કર્મયોગી યુવાનોના મૃત્યુ વિષે સાંભળીને મૃત્યુ પ્રત્યે નફરત થઈ જાય તેવી ઘટના છે.
ગુજરાતી સાહિત્યના સર્વે પ્રેમીઓને માટે આ એક કારમો આઘાત છે. મૃગેશભાઈના પરિવારમાં ફક્ત તેમના વૃદ્ધ પિતા જ છે. તેમના વયોવૃદ્ધ પિતાના એકલવાયા જીવનનો એક માત્ર રંગ એટલે તેમનો પુત્ર – મૃગેશ હવે નથી રહ્યો તે સંજોગોમાં મૃગેશભાઈના પિતાને આપણે હૈયાધારણ સિવાય તો શું આપીએ એ જ નથી સમજાતું. ઈશ્વર તેમને આ આઘાત સહન કરવાની શક્તિ બક્ષે અને મૃગેશભાઈના આત્માને શાંતિ મળે – ગુજરાતીલેક્સિકોન પરિવાર તરફથી એવી અંતરની પ્રાર્થના કરવામાં આવે છે.
No Response to “દુઃખદ અવસાન – મૃગેશભાઈ શાહ ( રીડગુજરાતી.કોમ)” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment