આજનો દિવસ વિક્રમ સંવત આસો સુદ પૂનમ એટલે શરદપૂર્ણિમા અથવા શરદપૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પૂર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ છે. આ દિવસે અનેક જગ્યાએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌંઆ, સાકરને દૂધ સાથે આરોગવાનો રિવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી ગરબા-રાસ લેવામાં આવે છે.
શરદપૂનમ એટલે ખાસ દૂધ-પૌંઆ ખાવાનો અચૂક અવસર. જો કે દૂધ-પૌંઆ ખાવાની આ પરંપરા પાછળ ધાર્મિક અને વૈજ્ઞાનિક બંને મહત્ત્વ છે. શરદપૂનમની રાતે ચંદ્રમાંથી નીકળનારા શીતળ કિરણો આપણી તંદુરસ્તી માટે ઘણાં જ ફાયદાકારક રહે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે આ રાતે ચંદ્રમાંથી અમૃત વરસે છે.
કહેવાય છે કે શરદપૂનમની રાતે ખુલ્લા આકાશની નીચે દૂધ- પૌંઆ બનાવવામાં આવે છે, જેથી ચંદ્રમાંથી નીકળનારા કિરણો સીધા દૂધ-પૌંઆ પર પડે છે. ચંદ્રના કિરણોના પ્રભાવથી આ દૂધ-પૌંઆમાંથી ઔષધીય ગુણો મળે છે. આ દૂધ-પૌંઆ ખાવાથી શ્વાસ સંબંધિત બિમારીઓમાં રાહત મળે છે, જેથી દમના રોગીઓ માટે આ દૂધ-પૌંઆ અમૃત સમાન છે. એટલા માટે જ આપણા વડીલો દ્વારા શરદપૂનમના દિવસે દૂધ-પૌંઆ ખાવા તે પ્રથા તરીકે વિકસાવવામાં આવ્યું છે અને આ રાતે સામાજિક સંસ્થાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દમના રોગીઓ માટે દૂધ- પૌંઆ બનાવવામાં આવે છે.
નવરાત્રી પૂરી થયા પછી તરત ગરબાનો રંગ ઊતરતો નથી. શરદપૂનમ આવો આનંદ ઉઠાવવાનો દિવસ છે કે દિવાળીના સ્વાગતની તૈયારી અને નવરાત્રીના વિદાય વચ્ચેની ગરબાની રઢિયાળી રાત એટલે શરદપૂનમ. આ દિવસે લોકો ખાસ મોટા રાસ-ગરબાનું આયોજન કરે છે. અને ગરબામાં પણ શરદ પૂનમની રાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે….
શરદપૂનમની રાતડી, રંગ ડોલરિયો,
માતાજી રમવા દ્યોને રંગ ડોલરિયો,
શરદપૂનમની રાતડી,
ચાંદની ખીલી છે ભલીભાતની
તું ન આવે તો શ્યામ,
રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ… શ્યામ
તારા વિના શ્યામ….
No Response to “શુભ શરદપૂનમ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment