મુખ્યત્વે ભાષાનો ઉપયોગ વિચારોની આપલે માટે થાય છે. અલગ અલગ દેશના લોકો અલગ અલગ ભાષા બોલે છે. આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો, ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષાવાળા પ્રાંતનું પોતાનું રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતાં મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે.
આમ, દરેક દેશને તેમની ભાષાનું મહત્ત્વ હોય છે. આ ભાષા સંબંધિત હું એક વાત કહેવા માંગું છું જેમ કે, લોકો ફિલ્મો તો ઘણી જોવે છે, તેમાંની ઘણી ફિલ્મો લોકોને સંદેશો પણ આપતી હોય છે, તો ક્યારેક આવી ફિલ્મો દ્વારા અપાતો સંદેશો પણ જાણવો જોઈએ. આવી જ એક ફિલ્મ ‘English Vinglish’માંથી મળતો સંદેશ ભાષાનું મહત્ત્વ દર્શાવે છે તેને ટૂંકમાં નીચે દર્શાવેલ છે.
એક નવી ભાષા શીખવી એ કોઈપણ વ્યક્તિ માટે કેટલી મોટી પડકારરૂપ બાબત છે. આ વિશે મને ત્યારે ખ્યાલ આવ્યો જ્યારે મેં હમણા રજૂ થનારી ફિલ્મ ‘English Vinglish’ જોઈ. આ ફિલ્મના દિગ્દર્શકે ખૂબ જ સરસ રીતે એક ગૃહિણી કે જેનું નામ શશી ગોડબોલે છે, શશીને અંગ્રેજી ન આવડવાની બાબત પર અને તેના અંગ્રેજી શીખવાના પ્રયત્ન પર સરસ રજૂઆત કરી છે.
શશીને અંગ્રેજી ન આવડવાને કારણે ઘણા ખરાબ અનુભવ થાય છે. જેમ કે, તેનો પતિ તેનું સન્માન કરતો નથી, તેના બાળકો તેની મજાક ઉડાવે છે અને જ્યારે તે બાળકોના સ્કૂલમાં જાય છે ત્યારે બાળકો તેના આવવાથી નાનમ અનુભવે છે. શશી ખૂબ જ હોશિયાર હોય છે પણ અંગ્રેજી ન આવડવાને કારણે તેની ભાવનાઓ, પ્રેમ અને તેની લાગણીની અવગણના થાય છે.
શશી જ્યારે ન્યૂયોર્ક શહેરમાં જાય છે ત્યારે તેને એકલીને ફરવામાં પણ ખૂબ જ મુશ્કેલી થાય છે કારણકે શશી અંગ્રેજી લખી, વાંચી કે બોલી પણ શકતી નથી. તેની આ નબળાઈનો ખ્યાલ આવતાં અંગ્રેજી ભાષા શીખવા માટે તૈયાર થાય છે તે ખૂબ જ મહેનતથી અંગ્રેજી શીખે છે. જેમ કે, અંગ્રેજી વર્ગમાંથી તે ઘરે આવી દરરોજ અંગ્રેજી સમાચાર જોવે છે, અંગ્રેજી પેપર વાંચે છે, અંગ્રેજી ફિલ્મની ડીવીડી જુએ છે. આમ, ધીરે ધીરે અંગ્રેજી શીખવાની તેની આ પ્રવૃત્તિઓ બાદ તેનામાં આત્મવિશ્વાસ વધે છે તે આ ફિલ્મમાં ઘણી સુંદર રીતે દર્શાવાયું છે.
આ ફિલ્મ જોયા પછી મારો પોતાનો અંગત એક પ્રતિભાવ એવો છે કે ભાષા શીખવી તો જરૂરી છે, પણ એકબીજાની લાગણી, ભાવનાઓ સમજવા તથા એકબીજાને સન્માન આપવા માટે વાણી ભાષાની જરૂર હોતી નથી.
આમ, શશીની જેમ કોઈપણ વ્યક્તિ કે જેને કોઈપણ ભાષા આવડતી ન હોય, જો તે પૂરી લગનથી અને પૂરા આત્મવિશ્વાસથી શીખે તો તે જરૂરથી સફળ થઈ શકે છે અને કોઈ પણ કામ આસાનીથી પાર પાડી શકે છે.
આથી જ કહેવાય છે કે “મન હોય તો માંડવે જવાય” અને “આત્મવિશ્વાસ જ અદ્ભૂત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.”
Written By : Komal Karania
No Response to “ભાષાનું મહત્ત્વ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment