ઘરમાં પુત્રની પધરામણી થાય છે. સર્વના હૈયામાં હર્ષની હેલી વરસે છે. પુત્રનાં રૂપરંગ જોઈ, તેનું વિશાળ કપાળ, નમણો ચહેરો, હસતું મુખ વગેરે જોઈ વૃદ્ધો કહી દે છે. ‘છોકરો ભાગ્યશાળી છે.’
નવી પેઢીના બાળકો પૂછે છે, ‘આપે શા ઉપરથી આ કહ્યું?’
વૃદ્ધ પછી તે ડોસો હશે કે ડોસી તરત જ કહી દેશે, ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય.’
આ કહેતી – લોકમાન્યતાએ તેમના જ નહિ પણ પેઢી દર પેઢીનાં અનુભવોનો નીચોડ જ છે.
નવી પરણેલી વહુ ઘરમાં પ્રવેશે છે. એની રીતભાત, વર્તન, સ્વભાવ રૂપરંગ જોઈ અનુભવી વૃદ્ધા કહી દેશે, ‘વહુ લક્ષ્મી લાવી છે.’
‘આપે શા ઉપરથી આ કહ્યું, જુવાનો પૂછશે અને જવાબ મળશે. ‘વહુનાં લક્ષણ બારણામાંથી.’
આ કહેવત ‘પુત્રના લક્ષણ પારણામાંથી જણાય ને વહુના લક્ષણ બારણામાંથી જણાય.’ એ અનુભવ પરથી આવેલી કહેવત છે. જે સમયમાં સામુદ્રિક જ્ઞાનનો ભારે પ્રચાર હતો. લક્ષણો, ચાલવાની ઢબ, વર્તન, રૂપરંગ પરથી ભવિષ્યની જાણકારી સૌ કોઈને થોડીઘણી પણ હતી તે સમયની આ કહેવત કહી શકાય. એનું આયુષ્ય દોઢસો વર્ષથી પણ વધુનું છે.
આ પ્રાચીન કહેવતનું થોડુંક નવું સુધરેલું પાસુ પણ જાણવા જેવું છે. જેવી પ્રથમ છાપ તેવો તે વર્તાય છે. કહેવત છે. ‘આવતી વહુ ને બેસતો રાજા‘ એટલે કે માણસ પોતાની જે છાપ પ્રથમ પાડે છે તેનાથી જ તે ઓળખાઈ જાય છે.
આ વાત ખરી છે. પણ તે પછી શું બને છે. તે પણ આપણી કહેવતે કહ્યું જ છે.
આવતી વહુ ને બેસતો રાજા,
પહેલી રાખે શરમ ને પછી મૂકે માઝા
વહુ ઘરમાં આવે–નવી છે–અજાણી છે એટલે પહેલાં તો શરમમાં–સંકોચમાં રહેશે પણ પછી જેમ જેમ એ જૂની થતી જાય છે, ટેવાતી જાય છે, તેમ તેમ તે ફુંફાડા મારતી જાય છે…..
આથી જ કહેવત કહે છે, વહુ નવી છે, એને જૂની થવા દો. ઘરથી ટેવાવા દો અને પછી જ તે કેવી છે તે કહો.
લાડી પાડી નીવડ્યે વખાણ
વહુ ને વાછડી નીવડ્યે વખાણ
ભર્યું નાળિયેર નીવડે તે ખરૂં
ચાક ઉપર પીંડો, તોલો ઉતરે કે તોલડી.
એના આગમનની સાથે જ તમે કંઈપણ ન કહેશો. મૌન જ રહેજો. એ કેવી નીવડે છે–બને છે–રહે છે તે જોઈને જ પછી જે કંઈ કહેવું હોય તે કહેજો. એવો ભાવ આ કહેવતનો છે. ‘અણવીંધ્યું મોતી નીવડ્યે વખાણ.’ મોતી ગમે તેવું મુલ્યવાન હોય. રૂપ રંગ, ગમે તેવા હોય પણ તેની ખરી કિંમત તો વીંધાયા બાદ જ નક્કી થઈ શકે છે. આવું જ વહુ પુત્રને માટે પણ કહી શકાય.
વહુ લાડી
વહુને લાડી કહેવામાં આવી છે અને વરનો લાડો. લાડી અને લાડાનો અર્થ છે વહાલો. વર–વહુ નવાં હોય છે. તેમનું આગમન નવું હોય છે એટલે સૌને તેઓ વહાલા જણાય છે. આવો જ ભાવ દુલ્હા, દુલ્હનમાં પણ રહેલો છે. શબ્દ શાસ્ત્રીઓનું કહેવું છે કે “દુલ્હા શબ્દનું મૂળ દુર્લભ” શબ્દ છે. દેવનો દીધેલો – આપેલો તે પાછળથી અને આ “દુર્લભ” “દુલ્હા“માં પલટાઈ ગયો. ગ્રામ્ય ભાષામાં ‘દૂલો” પણ કહેવાય છે.
લાડીનો બીજો અર્થ પણ છે. બીજવરની જે પત્ની હોય છે તેને લાડી કહેવામાં આવે છે. પ્રથમ પત્નીના અવસાન બાદ જે સ્ત્રી ગૃહિણીપદે આવે છે તેને રાજસ્થાનમાં લાડી કહે છે. એને લગતી બે રાજસ્થાની કહેવતો જાણીતી છે. એ છે : –
દૂજ વર કી ગોરડી, હાથાં પરલી મોરડી,
દગ્ગડ, દગ્ગડ ખાઉંગી,
બોલંગો તો મર જ્યાંઉંગી
બીજવરની સ્ત્રી હાથ પરની મોરડીની જેવી છે. તેની ઇચ્છા પૂર્તિમાં જો વિઘ્ન નાખવામાં આવ્યું તો એ આત્મહત્યા સુધીની પણ ધમકી આપશે.
બીજી કહેવત છે – “દુજવરકી ગોરડી ૨ મોત્યાં વચલી મોરડી” આધેડ પુરુષ જ્યારે બીજાં લગ્ન કરે છે ત્યારે વહુ–લાડી નાની હોય છે એટલે તે આવી સ્ત્રીનો વિશેષ આદર કરે છે.
વહુને ટાઢ વાય છે ખરી?
વહુ અંદર સમાઈ જાય છે. નવ દિવસ એ નવી રહે છે. પછી જૂની થઈ જાય છે. ઘરકામ, વડીલોની આમન્યા, રસોઈપાણી વગેરે બધું જ તેને માથે આવી પડે છે ઉપરાંત પતિ–નણંદ, દિયર વગેરેને પણ સાચવવાના હોય છે.
ગામડાંઓમાં તો શિયાળો ભારે હોય છે. શિયાળાની ઠંડીમાં સૌ કોઈ તાપતાં બેઠા હોય છે. તાપણી ચાલુ કરી હોય ભઠ્ઠી અંગારાથી લાલ બની હોય છે. ત્યારે ઘરનાં સૌ કોઈ કુંડાળું વળી તાપણીએ તાપતાં દેખાય છે. પણ એમાં એક માત્ર વહુ જ નથી હોતી. આપણી કહેવતોએ આ સામે સારો કટાક્ષ કર્યો છે.
ટાઢ વાય ને તાપે સહુ,
ના તાપે વડાની વહુ
વહુ ક્યાંથી તાપે? એને ઘરકામમાંથી ફુરસદ મળે ત્યારે તાપે ને? નવરાશ જ મળતી ન હોય તો તાપવા ક્યાંથી બેસાય?
ટાઢ વાય સૌને;
ના વાય વહુને,
દરેકને ટાઢ વાય. દરેકના અંગો ઠંડીથી ઢીલા બની જાય છે. પણ બાપડી વહુને ટાઢ વાય જ નહિ. ક્યાંથી વાય? સાસરાની મૌજ હોય. સાસરાની શીળી છાંય હોય પછી ટાઢ આવે ક્યાંથી?
સાસુ–વહુની લડાઈ
સાસુ–વહુના સંબંધો દૂધભાત જેવા હોય તો જ સંસારમાં અમૃત વરસે છે. પણ ક્યારેક એ સંબંધોમાં પણ કડવાશ આવી જાય છે. દરેક ઘર સરખાં હોતાં નથી. તે જ મુજબ દરેક સાસુ કે વહુ એકસરખી પણ હોતી નથી. ક્યારેક સાસુ તેજ હોય છે તો ક્યારેક વહુ ચંડિકારૂપ ધરી વહુના સંબંધો વખાણવામાં પણ આવ્યા છે. અને નીંદવામાં પણ આવ્યા છે.
સાધારણ વાત એ જોવામાં આવી છે કે સાસુ વહુ પર પોતાનું પ્રભુત્વ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. વહુને સદા આ વાત ગમતી નથી. એટલે પરસ્પરમાં ઘર્ષણના પ્રસંગો અવારનવાર આવતાં જ રહે છે. સાસુ વહુને દાબમાં રાખવાના પ્રયત્નો કરે છે. ત્યારે વહુ તેની સામે થવા, સ્વતંત્ર થવાના પ્રયત્નો યોજે છે.
એક વખતે એક સાસુ થોડાક સમયને માટે જ પોતાનું ઘર વહુને સોંપી ક્યાંક બહાર ગઈ હતી. ઘરમાં વહુ એકલી જ હતી. એક માંગનારી બારણે આવી ઊભી રહી. વહુએ એને રોટલાનો એક ટૂકડો આપ્યો. સામેથી સાસુ આવી રહી હતી. તેણે પોતાનાં ઘરના બારણામાંથી માંગનારીને જતાં જોઈ સાસુએ ઘેર આવી વહુને પૂછ્યું. “તેં માંગનારીને કંઈ આપ્યું છે?”
“હા, એ ભૂખી હતી એટલે રોટલાનો ટૂકડો આપ્યો છે.” વહુએ વિનયથી કહ્યું.
“તું આપનારી તે કોણ? ઘર મારું છે.” કહીને સાસુએ પેલી માંગનારીને બૂમ મારી પાછી બોલાવી. એ આવી એટલે તેને કહ્યું, “રોટલો નીચે મૂકી દે.”
માંગનારી બાપડી ગભરાઈ ગઈ. તેણે એ નીચે મૂકી દીધો.
સાસુએ હવે એ રોટલો પોતાના હાથમાં લીધો માંગનારીને આપતાં કહ્યું, ‘લે, હવે આ લઈ લે….”
સાસુની જોહુકમી અને ત્રાસથી વહુ પણ આખરે કંટાળી જાય છે અને ક્યારે એ ટળે તેની જ રાહ જોતી હોય છે. આવી સાસુ–વહુઓ માટેની પણ અનેક કહેવતો છે. “સાસુ જાય, હોળી, તો વહુ ખાય ખીર–પોળી“, “સાસુ કહે રાંડ, વહુ કહે રાંડ, વચ્ચે દીકરાનો ઘાણ” આથી જ રાજસ્થાની એક કહેવતે સાસુને શિખામણ આપતાં કહ્યું છે. ‘વહુ કરે સો કરવા દો ને બેટા રો ઘર મંડવાવો” સાસુએ વહુની સાથે મનમેળ રાખીને રહેવું. તેની સાથે વધુ લડવું–ઝઘડવું નહિ. કદાચ વહુ જો ઘર છોડીને ચાલી જશે તો પુત્રનું ઘર વિખેરાઈ જશે. આ કહેવત છે તો સાદી અને સીધી પણ એમાં સાસુને માટેની ગંભીર ચેતવણી સમાયલી છે.
એક વાત બીજી પણ છે. સાસુ અને વહુના મામલામાં સાસુનો વાંક હોય કે નહિ પણ તે સદા નિંદાય છે જ. તેને બદનામી જ મળે છે જ્યારે વહુને સદા ગરીબ–બાપડી કહેવામાં આવી છે. રાજસ્થાની કહેવતે આ સ્પષ્ટ કર્યું છે.
સાસ દારી ને વઉ બિચારી.
Source : shri bruhad kahveat katha sagar(Story No. 87)
No Response to “કહેવતકથા – પુત્રના લક્ષણ પારણામાંથી ને વહુના લક્ષણ બારણામાંથી” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment