નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી,
……………….. આકાશે રેલાયે અંધાર જી;
કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે,
……………….. આવા તે જગાડે ઝંકાર જી ?
નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી,
……………….. જાણું ના શાના આ ભણકાર જી;
નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે,
……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી.
ગુંજે આ શી અજાણી, કોની વિપુલ વાણી ?
……………….. કોના આ વ્યાકુલ વાગે સૂર જી ?
કોના એ છાના સાદે, કોના રે મીઠા નાદે
……………….. ભીતર મારું થાયે ભરપૂર જી ?
અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
દુર્લભ જ્યાં દર્શન તારાં, શી વિધ પહેરાવું મારા
……………….. કંઠ કેરો આ કુસુમહાર જી ?
આ કાવ્યની રચના કરનાર નાથાલાલ દવે વિશે થોડી માહિતી :
નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ ૩ જૂન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ હતા. તેમની મુખ્ય રચનાઓ નીચે પ્રમાણે છે.
મુખ્ય રચનાઓ
- કવિતા – કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ
- વાર્તા – ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
- સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
Poem Source : www.readgujarati.com/2010/11/28/bhankar-poem/
No Response to “ભણકાર – નાથાલાલ દવે” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment