પોતાના વતનમાં માણસ પંકાતો નથી. તેની ગણના થતી જ નથી. પછી ભલેને એ કોઈ મોટો ભણેલો ગણેલો પંડિત કેમ ન હોય !
વિદ્વતા દેશમાં અંકાતી નથી. પરદેશમાં જ તેની કદર થાય છે. દેશના અનેક શિક્ષિત યુવાનો આજે પરદેશમાં સારું ધન કમાઈ રહ્યા છે કારણ તેમની વિદ્વતાની ત્યાં કદર થાય છે છતાં કહેવું પડશે દેશ એ દેશ છે અને પરદેશ એ પરદેશ છે.
કહેવતે આ તત્ત્વને પણ પોતાના સંગ્રહમાં વણી લીધું છે ‘ઘરકી મુરગી દાલ બરાબર‘ આ કહેવત સર્વ સામાન્ય રૂપમાં બધા જ પ્રદેશોમાં જણાઈ છે ‘પારકે ભાણે મોટો લાડુ‘ પોતાના ભાણામાંનો લાડુ મોટો હોય છતાં પારકાના ભાણામાંનો જ લાડુ મોટો જણાય. ગામની રૂપગુણ સંપન્ન છોકરી હોય તો તે આખરે છોકરી તરીકે જ ગણાય જ્યારે પરગામની છોકરીની ગણના લાડી બરાબર થાય. ઘરકા બમન બેલ બરાબર ગામનો જોગી જોગટો ને પરગામનો સિદ્ધ આ બધી કહેવતો પાછળ અનુભવ–હકીકત પ્રસંગ તો હશે જ. તે વગર એ કહેવતો અસ્તિત્ત્વમાં જ ન આવે.
વાત સાચી છે. મહાકવિ તુલસીદાસના મુખમાંથી જ કહેવાઈ ગયું હતું, ‘બહારના લોકો ભલે તને તુલસીદાસ કહે પણ ગામમાં તો તું તુલસીયો‘ જ ગણાવાનો કારણ ગામનો જોગી જોગટો જ ગણાય. એને કોઈ સિદ્ધ–મહાત્મા ન જ ગણે.
તુલસીદાસજીના જીવનની આ વાત જાણવા જેવી છે.
એક વખતે તુલસીદાસજી કાશીમાં પંડિતોની વચ્ચે બેસીને રામચરિત માનસની કથા સંભળાવી રહ્યા હતા. શ્રોતાઓની ભારે ભીડ જામી હતી. સૌ રસમાં તરબોળ બની ગયા હતા.
આજ સમયે બે ગ્રામવાસીઓ પણ ત્યાં આવી ચઢ્યા. ગંગાસ્નાન માટે તેઓ આવ્યા હતા. પરગામના હતા. લોકોનું ટોળું જોયું એટલે તેઓ પણ અહીં ઊભા રહી ગયા.
બેમાંનો એક તુલસીદાસજીની સામે થોડીકવાર જોઈ રહ્યો. તેની આંખોમાં ચમક આવી. તુલસીદાસજી તેના જ ગામના નિવાસી હતા. બાલ્યાવસ્થામાં તેની સાથે તેઓ ગાય–ભેંસ પણ ચરાવતા હતા. બન્ને નાના હતા ત્યારે ખૂબ ખૂબ તોફાનો પણ કરેલાં.
તુલસીદાસજી મોટા આસને બેઠેલા હતા. ગળામાં માળા હતી કપાળ પર તિલક હતું લોકો તેમની સામે હાથ જોડીને બેઠા હતા.
ગામડિયાને આ જોઈને મોટી નવાઈ લાગી. તેણે પોતાના સાથીનો હાથ, ખેંચ્યો અને કહ્યું, ‘અરે ગોપાળ ! જો તો ખરો? આ તુલસીયો તો મોટો મહન્ત બનીને બેસી ગયો છે.’
ગોપાલે પણ તેને ઓળખ્યો -‘ હા ….હા–હા–આ તો તલસીયો એક નંબરનો ઢોંગી….
આ ગામડિયાઓને જાણ નહોતી કે તેમનો આ બાલ્યકાળનો દોસ્ત ક્ષમ કરીને, પરિશ્રમથી જ દેશનો એક મહા કવિ નહિ પણ સંત પુરુષ બની ગયો છે. એ પૂજાઈ રહ્યો છે તે એની વિદ્વતાથી.
તુલસીદાસજી જ્યારે કથા પૂરી કરીને ઊઠ્યા ત્યારે પેલા બન્ને ગામડિયાએ તેમને પકડી લીધા અને તેમને વળગીને બોલ્યા – ‘અલ્યા, તુલસીયા ! આ શો ઠાઠ જમાવ્યો છે? ગળામાં માળા, કપાળે તિલક, તું ખરો એક નંબરનો ઠગારો બની ગયો છે !’
તુલસીદાસજી એમને શું જવાબ આપે?
એમના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા.
તુલસી વહાં ન જાઈએ
જહાં બાપકો ગામ,
દાસ ગયો તુલસી ગયો
રહ્યો તલસીયો નામ.
Source : Book Name : shri bruhad kahveat katha sagar (Story No.-46)
No Response to “કહેવતકથા – ઘરકી મુરગી દાલ બરાબર” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment