મહાનગર મુંબઈ અને કોલકત્તા કરતાં પણ ઉંમરમાં વરિષ્ઠ અમદાવાદ આજે ૬૦૦માં વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યું છે. અહમદશાહના કૂતરાઓને સાબરમતીના કિનારે વસતા સસલાઓએ ભગાડ્યા ત્યારથી માંડીને આજ સુધી આ શહેરની ભૂમિ અનેક અદ્ભુત ઘટનાઓની સાક્ષી બની રહી છે. પ્રત્યેક વર્ષે વધુને વધુ યુવાન થતા આ શહેરનો સ્થાપના દિન ઉજવવા અમદાવાદીઓમાં અનેરો તરવરાટ અને થનગનાટ જોવા મળી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતીને કિનારે આજે સવારથી અનોખો ઉત્સવ ઊજવાઈ રહ્યો છે તો બીજી તરફ અનેક સંસ્થાઓ અને શાળાઓમાં પણ કાર્યક્રમો યોજાશે. સૈકાઓ જૂની પરંપરા અને પાશ્ચાત્ય આધુનિકતાનો સંગમ આ શહેરમાં ભારોભાર છે. શ્રેષ્ઠ આર્કિટેકટો પોળોના પ્રાચીન કાષ્ટકામને અને સીદી સૈયદની જાળીને જોઈને દંગ થઈ જાય છે તો લકાર્બુઝિયેરના સંસ્કાર કેન્દ્ર અને લૂઈ કહાનના આઇ.આઇ.એમ.ને જોઈને નતમસ્તક બને છે.
સ્થાપના દિવસ અમદાવાદ માટે અનેરું પર્વ બન્યો છે. આ ‘પર્વ’ની ઉજવણી અંતર્ગત સવારે ૬.૩૦ વાગ્યે રન ફોર અમદાવાદ યોજવામાં આવી છે. જેમાં શહેરના અગ્રણીઓ પણ જોડાશે. ઉપરાંત સવારે દસ વાગ્યે અમદાવાદની વિવિધતાઓને આવરી લેતું ચિત્ર પ્રદર્શન યોજાશે, શહેરના ખ્યાતનામ ચિત્રકારો રિવરફ્રન્ટ પાસે અમદાવાદને અનુલક્ષીને ચિત્રો દોરશે. બપોરે ક્વિઝ યોજાશે અને સાંજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદની ૬૦૦ વર્ષની ઝાંખી આપતા ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. ખાસ કરીને પોળ, જૂની સોસાયટીઓમાં સુશોભન અને રોશની કરવામાં આવ્યાં છે.
ચાલો આજે આપણે એક વાર ફરી યાદ કરી લઈએ કે “જબ કુત્તે પે સસ્સા આયા તો અહમદશાહને યે શહેર બસાયા”
(બ્લોગના થોડા અંશો દિવ્યભાસ્કરમાંથી લેવામાં આવ્યા છે.)
No Response to “અમદાવાદનો આજે ૬૦૦મો સ્થાપના દિન” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment